બધું ન આવડે તે એમબીએ?

એક જમાનામાં એમબીએનો વટ હતો, તેનું આકર્ષણ હતું. બિઝનેસને આધુનિક રૂપ આપવા માટેની એમબીએની ઔકાતને અવગણી શકાય નહીં. પરંતુ આ ક્ષેત્રમાં વેંતિયા અને બિનઅનુભવી તત્ત્વોની ઘૂસણખોરીથી બિઝનેસ સ્કૂલો પડી ભાંગી છે. એક કારણ દેશનાં મોટા ઉદ્યોગ ગૃહોને પણ ગણવામાં આવે છે. ધનવાન ઉદ્યોગકારો તેવું માની બેઠા કે એમબીએ હોય તેને જ બધું આવડે,એમબીએ જ સર્વ જ્ઞાતા બાકી બધા મુરખ, ગણ્યાં-ગાંઠયાં કોર્પોરેટ હાઉસોને બાદ કરતાં અધકચરા હવે તરફડિયાં મારી રહ્યાં છે. જે એમબીએ છે તે સર્વસ્વ છે તેમ માની લેવું ઉચિત ગણાય નહીં,એમબીએ થયો હોય તેને જ બધું આવડે તેમ પણ નથી, ‘કૂવામાં હોય તો હવાડામાં આવે’ માત્ર એમબીએની ડીગ્રી મેળવવાથી સફળ થઈ શકાતું નથી, કમનસીબી એ છે કે ભારતમાં એમબીએ પ્રાઈવેટ સેકટરમાં સનદી સૂબાની જેમ વર્તી રહ્યા છે. દેશનાં જાણીતાં ઉદ્યોગ ગૃહોમાં જે એમબીએ યુવકો સફળ નીવડયા છે તેમાંથી મહત્તમ યુવાનો વિદેશમાં એમબીએ થયા છે જેમણે ક્યારેય મોટાં પેકેજનાં સપનાં જોયાં નથી કે ખોટાં અને બોગસ પ્રલોભનોમાં સપડાયા નથી.
ભારતમાં એમબીએથી બાવાનાં બેય બગડી રહ્યા છે. કોઠાસૂઝવાળા અનુભવીઓ કિનારે ધકેલાઈ રહ્યા છે અને ડીગ્રીવાળા આઠથી દસ હજારમાં વેચાઈ રહ્યા છે. એમબીએ થાય એટલે આકર્ષક પગાર મળે આ ભ્રમથી લલચાઈને મા-બાપ પોતાનું સંતાન એમબીએ થાય તેનાં સપનાં જોવા માંડયાં એટલે સુધી કે આઈઆઈટી જેવી સંસ્થાઓનો અભ્યાસ પૂરો કર્યા પછી એમબીએ થવાનો મોહ છૂટયો નથી જેનો હેતુ એક માત્ર આકર્ષક પેકેજ, પગાર. વચ્ચે તો એમબીએની ભારતમાં ધૂમ મચી, ઠેર ઠેર એમબીએનાં નગારાં પીટાયાં. આપણે ત્યાં મધ્યમવર્ગીય સમાજ લાલચુ અને દૂરંદેશી વગરનો છે. ગાડરિયા પ્રવાહ જેવા સમાજની આ મર્યાદાનો લાભ લઈને ગલીએ ગલીએ મહોલ્લે મહોલ્લે બિઝનેસ સ્કૂલો શરૂ થઈ. આકર્ષક પગારનાં સપનાં, ઉત્તમ પ્લેસમેન્ટના વાયદા કરવામાં આવ્યા, એક સમય એવો આવ્યો કે એમબીએ સ્ટેટ્સ સિમ્બોલ થઈ ગયું, જરૂરિયાત કરતાં અનેક ગણી સ્કૂલો શરૂ થઈ ગઈ, ચાર લાખ ફી અને એક લેપટોપ. આજે બિઝનેસ સ્કૂલોમાં વિદ્યાર્થીઓની સ્થિતિ કફોડી છે. પ્લેસમેન્ટ મળતું નથી. સફળ ઉદ્યોગકારો ગમે તેવા આલિયાઓને નોકરી આપતા નથી. લાખ્ખો રૂપિયાનો ખર્ચ કરીને પણ આઠ-દસ હજારની નોકરી મળતી નથી, પેકેજની વાત તો કોરાણે, નોકરીનાં ફાંફા થઈ રહ્યાં છે એટલે હવે નક્કી જ છે કે સારી બિઝનેસ સ્કૂલો ચાલશે. એકાએક બિઝનેસ સ્કૂલોમાં તેજી કેમ આવી? ભારતમાં અચાનક તેવું કયું મેનેજમેન્ટ શરૂ થયું કે જેની પાછળ આ દેશનો યુવાન દીવાનો થઈ ગયો, એ વિચાર ક્યારેય બુદ્ધિશાળી યુવકને આવ્યો નહીં કે ભારતમાં જો આટલી મોટી સંખ્યામાં મેનેજમેન્ટ નિષ્ણાતોની જરૂર છે તો પછી દેશની દશા આજે ગંભીર કેમ છે.
ભારતમાં જે સફળ કોર્પોરેટ હાઉસનાં નામ તગતગે છે તેના સ્થાપકો એમબીએ હતા ખરા?અદ્યતન મેનેજમેન્ટ કળા કોઠાસૂઝમાંથી પ્રગટે છે, વર્ગખંડની કોટડીમાંથી નહીં, ભારત વિશ્વને મેનેજમેન્ટના પાઠ શિખવનારો દેશ છે અને આ દેશના સાહસિક વીરોએ તેમના પુરૂષાર્થ વડે વિશ્વને શ્રેષ્ઠ મેનેજમેન્ટ શીખવ્યું છે, સાહિત્ય, શિક્ષણ, પત્રકારિત્વ, ઉદ્યોગ અને અર્થનીતિના ક્ષેત્રે જે વીરલાઓએ સિદ્ધિઓ મેળવી છે તેમની પાઠશાળામાં સાહસ, પરિશ્રમ અને આત્મબળની તાલીમ હતી, આ કર્મવીરો માતાના ઉદરમાંથી, ગળથૂથીમાંથી સાહસ શીખ્યા અને નિષ્ઠાના બળે સફળ થયા. સફળ સાહસવીરોએ પેકેજ માટે લાળ પાડી નથી કે ધંધાને વિકસાવવા માટે ડીગ્રીનાં પતાકડાં લઈને ક્યારેય ભટક્યા નથી.
અર્થાત્ બધા જ એમબીએ બેકાર છે તેવું નથી. આવડત હોય તો જ એમબીએ થવું - ગમે તે સ્કૂલોની ડીગ્રીઓ મેનેજમેન્ટ શીખવી શકે નહીં.
વિશ્વમાં સૌથી વધુ હેંગિંગ બાસ્કેટવાળું ગાર્ડન

ગિનીસ રેકોર્ડ
વિશ્વમાં સૌથી વધુ હેંગિંગ બાસ્કેટ (ફૂલોનાં લટકતાં કૂંડાં) યુનાઈટેડ આરબ અમીરાતમાં આવેલ ‘અલ એન પેરેડાઈઝ’ નામના ગાર્ડનમાં જોવા મળે છે. આ બગીચામાં ૨,૪૨૬ જેટલાં હેંગિંગ
દિલ્હીની શાન કુતુબ મિનાર

ચાલો ફરવા
કુતુબમિનાર દિલ્હીમાં આવેલો છે. લાલ રંગના પથ્થરો અને આરસપહાણમાંથી બનાવવામાં આવેલી આ ઈમારત ૭૨.૫ મીટર ઊંચાઈ ધરાવે છે. કુતુબમિનારની ટોચ સુધી પહોંચવા માટે ૩૭૯ પગથિયાં આવેલા છે. કુતુબબદીન ઐબકે ૧૧૯૩માં આ ઈમારત બંધાવવાની શરૂઆત કરી હતી. ઈલ્તુમીશે આ ઈમારતનું કાર્ય સંપન્ન કરાવ્યું હતું. કુતુબમિનાર તેની વિશિષ્ટ શૈલી અને રચનાને કારણે જાણીતો છે. કુતુબમિનાર પાસે આવેલો લોહસ્તંભ પણ તેની વિશિષ્ટ કારીગરી અને કોતરણીને કારણે જાણીતો છે. દર વર્ષે અહીં નવેમ્બર - ડિસેમ્બર મહિનામાં કુતુબ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવે છે. જે ત્રણ દિવસ ચાલે છે. યુનેસ્કો દ્વારા કુતુબમિનારને વર્લ્ડ હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી છે.
કોણાર્કનું સૂર્યમંદિર

ચાલો ફરવા
* કોણાર્કનું સૂર્યમંદિર ઓરિસ્સામાં આવેલું છે.
* ૧૩મી સદીમાં રાજા નરસિંહ મહાદેવ દ્વારા તેનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.
* ભારતની સાત અજાયબીઓમાં તેની ગણના કરવામાં આવે છે.
* મંદિરની અદ્ભુત કારીગરી અને નિર્માણશૈલીને કારણે તેને દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરવામાં આવી હતી.
* આ મંદિર સાથે એવી કિવદંતી જોડાયેલી છે કે ભગવાન વિષ્ણુના પુત્ર સામ્બાએ તેના પિતાએ આપેલા શાપમાંથી મુક્તિ મેળવવા ભગવાન સૂર્યની ઉપાસના કરી અને બાર વર્ષની તપસ્યાને અંતે ભગવાન સૂર્યએ સામ્બાને શાપમાંથી મુક્તિ અપાવી. * સામ્બાએ ભગવાન સૂર્યના માનમાં આ કોણાર્ક મંદિર બંધાવ્યું.
* સૂર્યમંદિર ભગવાનનો રથ હોય એ રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જેને સાત ઘોડાઓ હંકારી રહ્યાં છે અને બાર પૈડાં કોતરવામાં આવ્યાં છે.
* ભગવાન સૂર્યની વિશાળ પ્રતિમા અહીં આવેલી છે.
પૌરાણિક સ્થાપત્ય ગોળ ગુંબજ

- ચાલો ફરવા
* ભારતનાં જાણીતાં પૌરાણિક સ્થાપત્યોમાંનું એક સ્થાપત્ય એટલે ગોળ ગુંબજ.
* ગોળ ગુંબજ કર્ણાટકના બીજાપુરમાં આવેલો છે.
* બીજાપુરના સુલતાન મોહમ્મદ આદિલ શાહે તે બંધાવ્યો હતો.
* ઈ.સ. પૂર્વે ૧૬૨૬માં ગુંબજનું નિર્માણકાર્ય શરૂ કરવામાં આવ્યું હતું જે ૧૬૫૬માં પૂરું થયું હતું.
* આ ગુંબજની ડિઝાઇન યાકુત નામના ડિઝાઇનરે તૈયાર કરી હતી.
* આ ગુંબજ ૪૭.૫ મીટર ઊંચાઈ અને ૪૪ મીટર વ્યાસ ધરાવે છે. ગુંબજના ચારેય ખૂણા પર થાંભલા આવેલા છે. દરેક થાંભલા પર સાત ભાગમાં નાના નાના ઝરુખા બનાવવામાં આવ્યા છે.
* ગોળ ગુંબજ ૧૮,૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલો છે.
* ૩૩.૨૨ મીટર ઊંચાઈ ધરાવતો આ ગુંબજ ૩.૨૫ મીટર પહોળી ગેલેરી ધરાવે છે. આ ગેલેરીને વ્હિસ્પરિંગ ગેલેરી તરીકે ઓળખવામાં આવે છે.
* પુરાતન સમયમાં આ ગેલેરીમાં સંગીતના કાર્યક્રમોનું આયોજન થતું અને આ ગેલેરીમાંથી રેલાતો ધ્વનિ ખૂબ જ શ્રાવ્ય બનતો. ગુંબજના દરેક ખૂણે એકદમ ધીમો અવાજ પણ સ્પષ્ટ રીતે સાંભળી શકાતો. આજે પણ જો ગુંબજના કોઈ ખૂણે રહીને તાળી પાડવામાં આવે તો તેનો પડઘો દસ ગણો મોટો સાંભળી શકાય છે.
* વિશ્વના સૌથી મોટા ડોમ એટલે કે ગુંબજ આકારનાં સ્થાપત્યોમાં ગોળ ગુંબજનો સમાવેશ થાય છે.
આમ્બેરનો કિલ્લો

ચાલો ફરવા
આમ્બેરનો કિલ્લો લાલ પથ્થરો અને આરસપહાણથી બાંધવામાં આવ્યો છે. આ કિલ્લામાં હિંદુ અને મુગલ શૈલીનું સંમિશ્રણ છે. અરવલ્લીની ગિરિમાળામાં સ્થિત આ કિલ્લો ચાર ભાગમાં વહેંચાયેલો છે
રા જસ્થાનમાં આવેલો આમ્બેરનો કિલ્લો દેશ-વિદેશના મુલાકાતીઓનું માનીતું સ્થળ છે. આમ્બેરનો કિલ્લો જયપુરથી ૧૧ કિમી દૂર આવેલો છે. રાજા-મહારાજાઓના સમયમાં આમ્બેર જયપુરની રાજધાની હતું. ૧૫૯૨માં રાજા જયસિંહ પહેલા અને સવાઈ રાજા જયસિંહ દ્વારા તેનું નિર્માણ કરાવવામાં આવ્યું હતું. આમ્બેરનો કિલ્લો લાલ પથ્થરો અને આરસપહાણથી બાંધવામાં આવ્યો છે. આ કિલ્લામાં હિંદુ અને મુગલ શૈલીનું સંમિશ્રણ છે. અરવલ્લીની ગિરિમાળામાં સ્થિત આ કિલ્લો ચાર ભાગમાં વહેંચાયેલો છે. પહેલા ભાગમાં જેલબ ચોક આવેલો છે. જ્યાં શીલાદેવી મંદિર, ગણેશ પોળ અને સુહાગ મંદિર એટલે કે જ્યાંથી રાણીઓ મહેલમાં ચાલતી ગતિવિધિઓને જોઈ શકે એ ખંડ આવેલો છે. બીજા ભાગમાં દીવાન-એ-આમ આવેલો છે. દીવાન-એ-આમ એટલે જ્યાં રાજા બેસીને પ્રજાની વાતો સાંભળે એ ખંડ. જ્યારે દીવાન-એ-ખાસ એટલે રાજા અને દરબારીઓ બેસીને ચર્ચા-વિચારણા કરે એ ખંડ. દીવાન-એ-આમમાં ૨૭ જેટલા કલાત્મક થાંભલા આવેલા છે. ત્રીજા ભાગમાં મુઘલ ગાર્ડન આવેલો છે. ચોથા ભાગને ઝનાના તરીકે ઓળખવામાં આવે છે. રાણીઓ અહીં નિવાસ કરતી હતી. કલાત્મક કોતરણી અને અદ્ભુત નિર્માણશૈલીને કારણે આમ્બેરનો કિલ્લો મુલાકાતીઓને આકર્ષતો રહ્યો છે.
રાજસ્થાનની શાન રણથંભોર નેશનલ પાર્ક

ચાલો ફરવા
રાજસ્થાનના સવાઇ માધોપુર જિલ્લામાં વાઘના સંરક્ષણ માટે જાણીતા રણથંભોર નેશનલ પાર્કની મુલાકાત લઇશું
* રણથંભોર નેશનલ પાર્ક વાઘના સંરક્ષણ માટે જાણીતો છે.
*રણથંભોર ખાતે લગભગ ૩૧ (૨૦૧૦) જેટલાં વાઘ રહે છે.
*આ પાર્ક રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લામાં આવેલો છે.
*ચમ્બલ નદીનો પૂર્વનો કાંઠો આ પાર્કને મળે છે. જ્યારે નદીનો બીજો કાંઠો મધ્યપ્રદેશને મળે છે.
*આ નેશનલ પાર્કની એક તરફ સવાઈ માનસિંઘ અભયારણ્ય આવેલું છે.
*રણથંભોર નેશનલ પાર્ક ૧૩૩૪ સ્ક્વેર કિમીનો એરિયા ધરાવે છે.
*જયપુરના રાજા પહેલા આ સ્થળનો ઉપયોગ શિકાર કરવા માટે કરતા હતા પરંતુ ત્યારબાદ ૧૯૭૨માં આ સ્થળને વાઘના સંરક્ષણ માટે આરક્ષિત કરવામાં આવ્યો.
*રણથંભોરનો જે કુલ વિસ્તાર છે તેમાંથી અમુક ભાગ સવાઈ માનસિંઘ સેન્કચ્યૂઅરી અને અમુક ભાગમાં કેલાદેવી સેંચ્યૂરી આવેલાં છે.
શ્રીલંકા

વર્લ્ડ ટૂર
રાષ્ટ્રપતિ : મહિન્દા રાજપક્ષા
વડાપ્રધાન: ડી.એમ. જયરત્ને
ક્ષેત્રફળ : ૨૫,૩૩૨ ચોરસ મીટર
વસતી : ૨,૦૬,૫૩,૦૦૦
પાટનગર: શ્રી જયવર્ધનપુરા
અધિકૃત ભાષા: સિન્હાલી, તમિલ
ચલણ : શ્રીલંકન રૂપી
સામુદ્રિક ખજાનાનો ભંડારપિરોટન ટાપુ

ચાલો ફરવા
જામનગર નજીક પિરોટન ટાપુ અને મરીન નેશનલ પાર્ક આવેલા છે. જામનગરના દરિયાકાંઠે આવેલો આ ટાપુસમૂહ ત્રણ ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે અને ચેરિયા (મેન્ગ્રોવ) નામનાં વૃક્ષોથી આચ્છાદિત છે. મરીન નેશનલ પાર્ક ખાતે આવેલા ૪૨ ટાપુસમૂહમાં પિરોટન ટાપુ સૌથી મોટો છે. પિરોટન ટાપુ જોવા માટે વન વિભાગની મંજૂરી લેવી જરૂરી છે. ૧૯૮૨માં પિરોટન ટાપુનો સમાવેશ મરીન નેશનલ પાર્ક ખાતે સમાવેશ કરવામાં આવ્યો હતો. જામનગર પોર્ટ ખાતેથી હોડીમાં બેસીને પિરોટન ટાપુ જોવા જઈ શકાય છે. પિરોટન ટાપુ પર જુદા જુદા પ્રકારના કરચલા, રીંછ, દરિયાઈ સાપ, જળઘોડા, ઓક્ટોપસ, સી અર્ચિન જોવા મળે છે. આ ઉપરાંત પેલિકન, સી ગલ, બ્લેકહેડેડ ગલ જેવાં પક્ષીઓ પણ જોવા મળે છે. પિરોટન ટાપુની સાથે સાથે નરારા ટાપુ પણ જોવાલાયક સ્થળ છે. આ ટાપુ પણ દરિયાઈ જીવસૃષ્ટિથી ભરપૂર છે. આ ઉપરાંત મરીન નેશનલ પાર્ક પણ જોવાલાયક છે. મરીન નેશનલ પાર્ક ૧૬૨.૮૯ ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલો છે. જ્યારે મરીન સેન્કચ્યુઅરી ૪૫૭.૯૨ ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલો છે. વિશ્વમાં જેટલાં પણ પરવાળાના ટાપુઓ આવેલા છે તેમાં મરીન નેશનલ પાર્ક એવો પરવાળાનો ટાપુ છે જેને જોવા માટે દરિયામાં ડૂબકી નથી લગાવવી પડતી. એટલે કે આ ટાપુ પર એક કે બે ફૂટ જેટલું જ પાણી હોય છે. જ્યાં ચાલતાં ચાલતાં પરવાળાના ટાપુ પર મજા માણી શકાય છે.
ફ્લોટિંગ મ્યુઝિયમ આઈએનએસ વિક્રાંત

ચાલો ફરવા આ ઈએનએસનું આખું નામ છે ઈન્ડિયન નેવલ શિપ. આઈએનએસ વિક્રાંત ભારતીય નૌકાદળનું મહત્ત્વનું યુદ્ધજહાજ હતું. ૧૯૫૭માં ભારતીય નૌસેનાએ બ્રિટન પાસેથી તે ખરીદ્યું હતું. ભારતીય નૌસેનાનું તે પહેલું એરક્રાફ્ટ કરિયર હતું. ૧૯૬૧માં તેને કાર્યરત કરવામાં આવ્યું હતું. વિક્રાંતનો અર્થ થાય છે.શક્તિશાળી. ૧૯૭૧માં ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું ત્યારે આઈએનએસ વિક્રાંતે ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ યુદ્ધજહાજ ૧૯૨ મીટરની લંબાઈ ધરાવે છે. ૧૯૯૭માં તેને સેવાનિવૃત્ત કરીને મ્યુઝિયમમાં ફેરવી દેવામાં આવ્યું છે. મુંબઈના દરિયાકિનારે તે યુદ્ધની યાદગીરીઓને સાચવીને ઊભું છે. આઈએનએસ વિક્રાંત બીજા વિશ્વયુદ્ધ સમયે બ્રિટન દ્વારા બાંધવામાં આવેલું હયાત અવસ્થામાં મ્યુઝિયમરૂપે સચવાયેલું એકમાત્ર યુદ્ધજહાજ છે.
ચાલો ઊડીએ હેલિકોપ્ટરમાં.

* પહેલી વાર ૧૩ નવેમ્બર, ૧૯૦૭ના રોજ ઊડી શકે એવું હેલિકોપ્ટર ફ્રેન્ચ મિકેનિક પૌલ કોર્નુએ બનાવ્યું હતું. આ હેલિકોપ્ટર વીસ સેકન્ડ માટે હવામાં તરતું રહ્યું હતું.
* વિશ્વના સૌથી મોટા હેલિકોપ્ટરનું નામ હોમર છે. આ હેલિકોપ્ટર રશિયાએ ૧૯૬૮માં બનાવ્યું હતું. હોમર ૨૨૫૫ મીટરની ઊંચાઈ સુધી ૪૦,૨૦૪ કિગ્રા વજન સાથે ઊડવાની ક્ષમતા ધરાવતું હતું.
* અત્યાર સુધીમાં સૌથી વધુ ઝડપે ઊડવાનો રેકોર્ડ વેસ્ટલેન્ડ લિન્ક્સ હેલિકોપ્ટર ધરાવે છે. આ હેલિકોપ્ટરે ૬ ઓગસ્ટ, ૧૯૮૬ના રોજ ૪૦૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરી હતી.
નોલેજ ઝોન

વિશ્વનું સૌથી મોટું મંદિર કમ્બોડિયામાં આવેલું અંગકોર વાટ છે. આ મંદિર બારમી સદીમાં રાજા સૂર્યવર્મન બીજા દ્વારા બંધાવવામાં આવ્યું હતું. આ મંદિરની શૈલીનો ઉપયોગ કમ્બોડિયાના રાષ્ટ્રધ્વજમાં રાજચિહ્ન તરીકે કરવામાં આવ્યો છે.
ગાંધીજીએ પોતાના મૃત્યુની આગાહી કરેલી!

ગાંધી નિર્વાણદિન વિશેષ
હજુ બે દિવસ અગાઉ ગાંધીજીએ મનુબહેનને કહેલું કે, “કોઇ મને ગોળીથી મારે તો જ કહેજે કે આ સાચો મહાત્મા, પણ રોગથી મરું,અરે! નાનકડી ફોડકીથીય મરું તો કહેજે કે આ દંભી મહાત્મા હતો.”
* દૃશ્ય ૧
સ્થળઃ ગાંધીજીનો આશ્રમ, સેવાગ્રામ, સપ્ટેમ્બર ૧૯૪૪ સવારના અગિયાર વાગ્યાનો સમય છે. ગાંધીજી પોતાના આશ્રમમાં મહંમદ અલી ઝીણાને મળવા જવા માટેની તૈયારીઓ કરી રહ્યા છે.
આ સમયે હિંદુ મહાસભાના આશરે એંસીથી નેવું જેટલા કાર્યકરો આશ્રમની બહાર ગાંધીજીની રાહ જોતા ઊભા છે. આ કાર્યકરો ગાંધીજી અને ઝીણા વિરુદ્ધ સૂત્રો પોકારી રહ્યા છે. આ કાર્યકરોનો આગેવાન પોતાના સાથીદારોને કહી રહ્યો છે કે, ગાંધીજી આજે ઝીણાને મળવા માટે જવાના છે અને આપણે તેને અટકાવવાના છે અને જરૂર પડે તો ભલે બળનો ઉપયોગ કરવો પડે! આ આગેવાનને હિંદુ મહાસભાના કાર્યકરો ‘જમાદાર’ના હુલામણા નામથી ઓળખે છે.
આ કાર્યકરો ગાંધીજીને શા માટે અટકાવવા માગતા હતા?
વાત એમ બની કે ગાંધીજી, કોંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે સમાધાન થાય તેમ ઇચ્છતા હતા. જો કોંગ્રેસ અને મુસ્લિમ લીગ સાથે મળીને બ્રિટિશ સરકાર સમક્ષ સ્વતંત્રતાની માગણી કરે તો બ્રિટિશ સરકાર ચોક્કસ નમતું આપશે તેવી ખાતરી ગાંધીજીને હતી. મુસ્લિમ લીગમાં ઝીણા જ સર્વોપરી હતા એટલે ગાંધીજી તેની સાથે વાટાઘાટો ચલાવી રહ્યા હતા.
સપ્ટેમ્બર માસના ઓગણીસ દિવસ દરમિયાન કુલ ચૌદ વખત ગાંધીજી ઝીણાને મળ્યા. આ વાટાઘાટો દરમિયાન ગાંધીજીએ, ઝીણાએ રજૂ કરેલ પાકિસ્તાનની રૂપરેખા મંજૂર રાખી હતી, તેમ આ કાર્યકરો માનતા હતા. જોકે આ વાત ખોટી પણ ન હતી. પોતાના પ્યારા દેશના બે ટુકડા થાય તે વાત હિંદુ મહાસભાને મંજૂર ન હતી. બીજી તરફ શીખ લોકોએ પણ પાકિસ્તાનની રચનાનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું.
ગાંધીજી આશ્રમની બહાર નીકળે તે પહેલાં પોલીસ પલટન આવી પહોંચી અને બધાં કાર્યકરોની અટકાયત કરી. બધા કાર્યકરોની જડતી લેવામાં આવી. આ જડતી દરમિયાન ‘જમાદાર’ તરીકે ઓળખાતા આગેવાન પાસેથી એક ખંજર મળી આવ્યું. પૂછપરછમાં ‘જમાદારે’ જણાવ્યું કે આ ખંજર પોતાના બચાવ માટે છે, કેમ કે આ સમયે લીગના કાર્યકરો પાકિસ્તાનના સમર્થન માટે સેવાગ્રામમાં આવવાના હતા.
પોલીસ અધિકારી ગાંધીજી પાસે આવ્યા અને કહ્યું કે, “બાપુ, તલાશી દરમિયાન એક વ્યક્તિ પાસેથી ખંજર મળી આવ્યું છે.” પછી મજાક કરતાં કહ્યું કે, “ચાલો, શહીદ બનવાનો તમને સંતોષ તો મળ્યો.”
ગાંધીજીઃ “ના, સંતોષ નથી મળ્યો. એ તો કોઈ ગાંધીજીનું ખૂન કરશે ત્યારે જ મળશે.”
પોલીસ. અધિકારીઃ (મજાકમાં) “આ બાબતનો તોડ લાવવાનો તમે હિંદુ મહાસભાના આગેવાનો પર શા માટે નથી છોડતા? દા.ત. વી. ડી. સાવરકર, સાવરકર આવે અને આ કામ પતાવે.”
ગાંધીજીઃ “સાવરકર મને મારે એ મને વધારે પડતું માન આપવા બરાબર છે. મને મારવા માટે તો આ ‘જમાદાર’ જ પૂરતો છે.”
***
* દૃશ્ય ૨
સ્થળઃ બિરલા ભવન, દિલ્હી. તારીખ ૩૦ જાન્યુઆરી ૧૯૪૮.
સાંજના સાડા ચાર વાગ્યે બિરલા ભવનની બહાર એક ઘોડાગાડી આવીને ઊભી રહી. તેમાંથી ત્રણ જણા ઊતર્યા અને બિરલા ભવનના મેદાનમાં દાખલ થયા. અહીં દરરોજ સાંજે પાંચ વાગ્યે ગાંધીજી પ્રાર્થના અને ત્યારબાદ પ્રવચન કરે છે. આજના પ્રવચનમાં ગાંધીજી નહેરુ અને સરદાર પટેલ વચ્ચે ચાલતા ખટરાગની ચર્ચા કરવાના હતા. ઘોડાગાડીમાંથી ઊતરેલ ત્રણ જણામાંથી બે જણા પ્રાર્થના મંચની નજીક બેઠા અને ત્રીજો જણ જે તંદુરસ્ત અને જુવાન દેખાતો હતો તે બે જણાથી અલગ પડીને માનવમેદનીમાં ભળી ગયો. આ જુવાને લશ્કરના માણસો પહેરે તેવો ખાખી ડ્રેસ પહેર્યો હતો.
પાંચ ને દસ મિનિટે ગાંધીજી બિરલા ભવનની બહાર આવ્યા. ડાબી તરફ આભાબહેન અને જમણી તરફ મનુબહેનના ખભે હાથ મૂકીને, ધીમા પગલે પ્રાર્થનાસભાના મંચ તરફ આગળ વધ્યા. મનુબહેનના હાથમાં નોટબુક, થૂંકદાની, પેન તથા માળા હતી. ગાંધીજીનાં દર્શન કરવા માટે લોકો કતારબંધ ગોઠવાઈ ગયા.
ગાંધીજી થોડા આગળ વધ્યા હશે કે તુરંત જ ખાખી કપડાં પહેરેલ એક તંદુરસ્ત જુવાન બે હાથ જોડીને મનુબહેનની નજીક આવ્યો. મનુબહેન સમજ્યાં કે આ જુવાન ગાંધીજીને પગે લાગવા માગે છે એટલે મનુબહેને હાથથી અટકાવતાં તેને ઉદ્દેશીને કહ્યું કે “ભાઈ, ગાંધીજીને આજે દશ મિનિટનું મોડું થયું છે, અમને હેરાન ન કરો.”
આ જુવાને મનુબહેનને ધક્કો માર્યો એટલે મનુબહેનના હાથમાંથી નોટબુક, થૂંકદાની અને પેન નીચે પડયા. નીચે પડેલ વસ્તુઓની પરવા ન કરતા મનુબહેને ફરી વાર આ જુવાનને આગળ આવતો અટકાવ્યો. આ જુવાને ફરી વાર મનુબહેનને ધક્કો માર્યો એટલે મનુબહેનના હાથમાં રહેલ માળા નીચે પડી ગઈ. મનુબહેન માળા લેવા માટે નીચે નમ્યાં કે તુરંત જ આ યુવાને પોતાના જમણા ખિસ્સામાંથી પિસ્તોલ બહાર કાઢી અને ધડાધડ ત્રણ ગોળી ગાંધીજી પર છોડી. ત્રીજી ગોળી છૂટતાંની સાથે જ ગાંધીજી જમીન પર ઢળી પડયા. મનુબહેને માળા નીચેથી ઉપાડી ત્યાં સુધીમાં બધું ખતમ થઈ ગયું! રહ્યો માત્ર ગાંધીજીનો નિઃષ્પ્રાણ દેહ! એક યુગની જાણે સમાપ્તિ!
હજુ બે દિવસ અગાઉ ગાંધીજીએ મનુબહેનને કહેલું કે, “કોઇ મને ગોળીથી મારે તો જ કહેજે કે આ સાચો મહાત્મા, પણ રોગથી મરું,અરે! નાનકડી ફોડકીથીય મરું તો કહેજે કે આ દંભી મહાત્મા હતો.”
ગાંધીજી ઉપર ગોળી છોડનાર આ જુવાન બીજો કોઈ નહીં પણ, ત્રણ વર્ષ અને ચાર મહિના અગાઉ, સેવાગ્રામ ખાતે ગાંધીજીએ જેનો ઉલ્લેખ ‘જમાદાર’ તરીકે કર્યો હતો તે પોતે જ હતો. તેનું સાચું નામ નથુરામ વિનાયક ગોડસે.
મારી નજર સામે જ એ જુવાને ગાંધીજીને ગોળી મારીઃ પ્રભુરામ બાપા

૩૦મી જાન્યુઆરી, ૧૯૪૮ના દિવસે ગાંધીજીને ગોળી મરાઈ એ વખતે ત્યાં ઘણાં લોકો હાજર હતા. એ ટોળાંમાં હાજર હોય એવું કોઈ આજે સાડા છ દાયકે પણ જીવતું હોય એ કલ્પના કરવી મુશ્કેલ છે, પણ અશક્ય નથી. એક ગુજરાતી દાદા એવા છે, જેમણે ગાંધીજીની હત્યા નજર સામે જોઈ છે. ગાંધીજીની મૃત્યુતિથિ આવી રહી છે ત્યારે પ્રસ્તુત છે પ્રભુરામ બાપા સાથેની મુલાકાત
એમના ચહેરા પર કરચલીઓ પડી ગઈ છે, પણ માનસપટ પર સ્વાતંત્ર્ય સેનાની તરીકેની અડગતા છવાયેલી છે. માથામાં બહુ ઓછા વાળ છે પણ જુસ્સાની કમી નથી. સ્થિતપ્રજ્ઞા સ્થિતિમાં એ બેઠા છે, પણ બાપુનું નામ પડતાં જ એમની રગોમાં લોહીની ગતિ તેજ થઈ જાય છે. નથુરામે ગાંધીજીને ગોળી મારી ત્યારે પ્રભુરામ બાપા ગાંધીજી સાથે જ હતા. પ્રભુભાઈ કલ્યાણજી પટેલની સત્તાવાર જન્મ તારીખ તો ૫-૬-૧૯૨૩ છે, પણ વડીલોના કહેવા પ્રમાણે એમની ઉંમર વધારે હશે. આ તારીખ પ્રમાણે તો એમની ઉંમર ૮૯ વર્ષ થાય. એટલે કે ગાંધીની હત્યા થઈ એ વખતે પ્રભુરામ બાપા ૨૫ વર્ષના જુવાન હશે. નવસારીથી દસેક કિલોમીટર દૂર નેશનલ હાઈવે નંબર-૮ના કાંઠે આવેલું ગણેશ સિસોદરા ગામ છેલ્લા ઘણા દાયકાઓથી પ્રભુરામ બાપાનું નિવાસધામ છે. ત્યાં બેઠા બેઠા જ એ આપણને દિલ્હીના બિરલા હાઉસમાં ૬૪ વર્ષ પહેલાં સર્જાયેલા ઇતિહાસમાં લઈ જાય છે...
તમે કઈ રીતે ગાંધીજીની ટીમમાં પહોંચ્યા?
એ વખતે એવું હતું કે અહીં બારડોલીમાં ગાંધીજી વારંવાર આવતા. જુગતરામભાઈ દવે તેમના સેવકોની પસંદગી કરતા. એક વખત ગાંધીજી મહિનો-પંદર’દી બારડોલીમાં રોકાયા એ વખતે હું ત્યાં તેમની મદદમાં હતો. એ પછી તેઓ દિલ્હી જતા રહ્યા અને એક દિવસ દિલ્હીથી કહેણ આવ્યું કે ગાંધીજી અમને બોલાવે છે એટલે અમારે ત્યાં જવાનું થયું. ત્યારે બાપુ મુંબઈથી દિલ્હી જવાના હતા. હું મુંબઈ પહોંચી ગયો અને તેમની સાથે રવાના થઈ ગયો. ૧૯૪૨થી ગાંધીજીના અંત સુધી હું તેમની સાથે હતો. એમના અવસાન પછી પણ એક વર્ષ ત્યાં જ રહેલો.
ગાંધીજીએ પત્રમાં તમારો નામજોગ ઉલ્લેખ કરેલો?
હા, એમણે પત્ર લખેલો જેમાં લખ્યું હતું કે પ્રભુદાસ જેવા કાર્યકરોની મારે જરૂર છે. જો એમને અનુકૂળતા હોય તો અહીં મોકલો. બધા મને પ્રભુરામ કહેતાં પણ બાપુ એક જ મને પ્રભુદાસ કહીને બોલાવતા.
દિલ્હીમાં તમારે શું કરવાનું થતું?
અમે ગાંધીજીના અંગત સહાયકોમાં હતા. સુશીલા નૈયર, કનુ ગાંધી, રસોઈ બનાવતાં એક બહેન અમ્તુલ સલામ.. વગેરે ત્યાં બાપુ સાથે જ રહેતાં. બાપુ પ્રવાસે જાય તો પણ અમારે સાથે જવાનું થાય. બિરલા આશ્રમમાં મારું મુખ્ય કામ ગાંધીજીના મહેમાનોને સાચવવાનું હતું. મહેમાનોને સ્ટેશનેથી લેવા-મૂકવા અને તેમના ઉતારાની વ્યવસ્થા મારે કરવાની રહેતી. એ સિવાય પણ નાનાં-મોટાં કામ કરતા.
કેવા કેવા મહેમાનો આવતા?
બાપુને મળનારાઓ તો દેશ-પરદેશથી આવતાં રહેતા. ખાસ કરીને છેલ્લા દિવસોમાં સરદાર-નહેરુ વારંવાર તેમની મુલાકાત લેતા. મારે જોકે સરહદના ગાંધી અબ્દુલ ગફાર ખાનને સૌથી વધુ સાચવવા પડતા. એ દૂરથી આવતા. એમની નમાઝ વખતે ટુવાલ અને પાણીની વ્યવસ્થા કરી કોઈ એમને કનડગત ન કરે તેનું ધ્યાન રાખવું પડતું. બાદશાહ ખાન છેલ્લે ૧૯૭૧માં દિલ્હી આવેલા ત્યારે તેમણે મને ત્યાં મળવા પણ બોલાવેલો.
એ સિવાય બીજાં ક્યાં ક્યાં કામો તમે કરતા?
અમે એકાદ જણ બાપુ સૂતા એ પથારી પાસે બાજુમાં જ (આજે ગાંધીજીની પથારી બિરલા હાઉસમાં યથાવત્ છે) સૂઈ રહેતા, કેમ કે બાપુ સવારે ૩:૩૦ વાગ્યે ઊઠી જાય. એ વખતે પહેલાં તો એમને બાથરૂમ સુધી દોરી જતાં. એ નાહીધોઈ લે ત્યાં સુધીમાં ફાનસ પ્રગટાવી એમને લખવાની સામગ્રી તૈયાર રાખતા. તૈયાર થઈને એ ‘યંગ ઇન્ડિયા’, ‘હરિજન’ વગેરે તેમના અખબારો માટે લખવા બેસી જતા. એમની એ બધી ટપાલો પણ અમારે વ્યવસ્થિત રીતે રવાના કરવાની થતી.
બાપુ ક્યાંય પ્રવાસે જાય તો અમારે સાથે જવાનું થતું. સિમલા કરાર વખતે અમે સિમલા ગયેલા. આઝાદી વખતે અમે બાપુ સાથે નોઆખલી હતા. નોઆખલી તો દુર્ગમ પ્રદેશ હતો. અમને ત્યાં પહોંચવા માટે ત્યાંના મુખ્યમંત્રીએ સ્ટીમરની વ્યવસ્થા કરી આપેલી. ત્યાં અમને બાપુએ કહેલું કે તમે આસપાસનાં ગામોમાં જઈને લોકોને શાંતિ રાખવાનો સંદેશો આપો. પ્રવાસ દરમિયાન લોકોને ખબર પડે કે ગાંધીજીની ટ્રેન અહીંથી પસાર થવાની છે, તો સ્ટેશને સ્ટેશને લોકોનાં ટોળાં જામી જતાં. અમારે એ ટોળાંને બાપુથી દૂર રાખવાનું કામ પણ કરવાનું થતું.
બાપુની આદતો કેવી હતી? ક્યારેય માંદા પડતાં? શું ખાતા?
એકદમ ઓછું અને કામપૂરતું બોલે. માંદા પડયા હોય એવું અમને યાદ નથી, કેમ કે ખાવામાં બહુ ચોકસાઈ રાખતા. પોતાને શું ખાવું અને કેટલું ખાવું એ પણ પોતે જ નક્કી કરતા. બોલતી વખતે અવાજમાં અજબ પ્રકારનું ધૈર્ય હોય. કોઈ દિવસ ગુસ્સે ન થાય. વળી શબ્દોમાં બહુ ચોકસાઈ હોય. એમની રસોઈ એમના ઓરડામાં જ આપી દેતા. જ્યારે અમે બધાં રસોડે જમતા અને બિરલા પરિવારના સભ્યો પણ અમારી સાથે જ જમતાં.
ગાંધીજી તેમને મળવા આવે એમની સાથે કઈ ભાષામાં વાત કરતા?
એમને મળવા આવનારાઓ પ્યારેલાલ પાસેથી સમય લઈને જ આવ્યા હોય. મળનારાઓમાં ઘણાખરા ગુજરાતી હોય ત્યારે એ ગુજરાતીમાં જ વાત કરતાં. પણ મહેમાનોની જરૂર પ્રમાણે અંગ્રેજી કે બીજી કોઈ ભાષામાં પણ વાત કરતાં (ગાંધીજી છએક ભાષા જાણતા).
આઝાદી મળી ગયા પછી છેલ્લા દિવસોમાં કોણ કોણ તેમની મુલાકાત લેતું?
સૌથી વધુ તો સરદાર અને નહેરુ આવતા. સરદારનું ઘર તેમની સામે જ હતું એટલે તેઓ ગમે ત્યારે આવી પહોંચતા અને બન્ને ગુજરાતીમાં જ વાત ચલાવતા. નહેરુ પણ આવતા. ખાસ તો સરદાર અને નહેરુ ગાંધીજી પાસે એકાબીજાની ફરિયાદો અથવા નારાજગી વ્યક્ત કરવા આવતા. છેલ્લે સરદારે ગાંધીજીને એવી પણ વિનંતી કરેલી કે મને નહેરુથી સ્વતંત્ર રીતે કામ કરવાની છૂટ આપો. ગાંધીજીના મૃત્યુના દિવસે પણ ગોળી વાગી એની પાંચ જ મિનિટ પહેલાં સરદાર રવાના થયેલા. સરદાર મળવા આવ્યા હતા એટલે જ એ દિવસે ગાંધીજી પ્રાર્થનાસભામાં દસ-પંદર મિનિટ મોડા પહોંચેલા. ઉપરાંત તેમના વેવાઈ રાજગોપાલાચારી (દેવદાસ ગાંધીનાં લગ્ન રાજગોપાલાચારીનાં દીકરી લક્ષ્મી સાથે થયેલાં) પણ આવતા રહેતા. દેવદાસ ગાંધી નિયમિત આવતા રહેતા પણ એ ગાંધીજીની બહુ નજીક બેસીને વાતો ન કરતાં. થોડું અંતર રાખતા.
મતભેદો વખતે ગાંધીજી શું કરતા?
એ પોતાને યોગ્ય લાગતો હોય એ ઉપાય બતાવતા. પણ નોંધપાત્ર વાત એ હતી કે કોઈ ગાંધીજીની વાતને ઉથાપતું નહીં. એમનો અભિપ્રાય જ ફાઈનલ રહેતો. એટલું ગાંધીજીનું માન હતું.
તો તેમના અંતિમ દિવસે શું બનેલું?
સવારથી શરૂ કરીને દિવસનો ઘટનાક્રમ તો કાયમ હોય એવો જ હતો. સાંજે સરદાર તેમને મળવા આવેલા. સરદાર-નહેરુ વચ્ચે મતભેદો વધતા જતા હતા. એટલે એમની મુલાકાતો વધી રહી હતી. સરદાર મળીને ગયા પછી ગાંધીજી પાંચ વાગ્યાની પ્રાર્થનાસભામાં જવા રવાના થયા. અમે સાથે જ હતા. રોજ કરતાં એ પંદરેક મિનિટ મોડા હતા. મોડા પડવાને કારણે એમણે રોજ વાપર્યો એ રસ્તો વાપરવાને બદલે બિરલા ભવનની વચ્ચેથી જ ઊંબરો ઠેકીને સભા સુધી જવા રવાના થયા. એ બગીચામાં આભા અને મનુના ટેકે ચાલી રહ્યા હતા. એ વખતે જ એક યુવાન ટોળામાંથી આગળ આવ્યો અને બાપુને નમસ્તે કહ્યું અને રિવોલ્વર કાઢી ધડાધડ ૩ ગોળીઓ મારી દીધી. એ શખ્સ નથુરામ ગોડસે હતો. ગાંધીજી બેમાંથી કોઈ એક બહેન પર ઢળી પડયા.
પછી?
એ વખતે ગોડસે ભાગવાની ફિરાકમાં હતો. પણ ત્યાં કામ કરતાં રઘુ માળીએ તુરંત જ તેને પકડી લીધો અને પોલીસને સોંપી દીધો. ગાંધીજી પડી ગયા હતા તેમને ઊંચકીને અમે અંદર લઈ ગયા. ત્યાં સુધીમાં તેઓ મૃત્યુ પામ્યા હતા. બાપુને ૩ ગોળી વાગેલી. એક તો એમણે ઓઢી હતી એ ચાદરમાં હતી, બીજી ગોળી તેમના શરીરમાંથી નીકળી. ત્રીજી ગોળી પણ શરીરમાં જ લાગેલી પણ મને બરાબર યાદ નથી.
લોકોમાં ભાગદોડ થઈ ગઈ હશે ને?
ના, એવુ કંઈ બન્યું ન હતું. ગોળીઓનો અવાજ ધીમો હતો એટલે બધાંને તેનો અવાજ સંભળાયેલો નહીં. પણ જેમને ખબર પડી એ બધાં શાંત રહ્યા. દરમિયાન ગાંધીજીના નાના દીકરા દેવદાસ આવી પહોંચ્યા એટલે પહેલું કામ તેમના મૃતદેહને નવડાવવાનું કર્યું.
ગાંધીજીની સુરક્ષા વ્યવસ્થા કેવી હતી?
એ વખતે આજના જેવી સુરક્ષાની ખાસ જરૂર પડતી ન હતી. પણ એક વખત જવાહરલાલ નહેરુએ બાપુ આગળ ઇચ્છા વ્યક્ત કરેલી કે તેમને મળવા આવતા બધાં લોકોની તપાસ થાય. પણ બાપુએ ના પાડી દીધેલી. હત્યાના અઠવાડિયા-દસ દિવસ પહેલાં એક નિરાશ્રિત પણ ગાંધીની હત્યા કરવા આવેલો પણ એ પકડાઈ ગયેલો (એ ભાઈ એટલે મદનલાલ પાહવા).
મૃત્યુ બાદ શું સ્થિતિ હતી?
તુરંત સરદાર અને નહેરુ આવી પહોંચ્યા. બન્નેએ ગાંધીના મૃત્યુની જાહેરાત સાથે મળીને કરવાનું નક્કી કર્યું અને દેશમાં કોઈ જાતનાં તોફાનો ન થાય એ માટે ખાસ શબ્દ વાપર્યો કે એક ‘પાગલ હિન્દુ’ના હાથે ગાંધીજી હણાયા છે. વધુ ને વધુ લોકો બાપુનાં અંતિમ દર્શન માટે આવી રહ્યા હતા. એટલે આમ તો પહેલાં એવું નક્કી થયેલું કે બીજા દિવસે સવારે ગાંધીજીનો પાર્થિવ દેહ લોકોનાં દર્શન માટે મૂકવો, પરંતુ લોકો ત્યાંથી હટતા જ ન હતા અને ભીડ વધતી જતી હતી એટલે પછી રાત્રે નવેક વાગ્યે બાપુનાં દર્શન કરવાની લોકોને છૂટ આપવી પડી.
અંતિમક્રિયા વખતે મૃતદેહને ઓરડામાંથી બહાર લઈ જવા સુધીનું સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું. આગલા દિવસે કનૈયાલાલ મુનશીએ એવું સૂચન કરેલું કે જેઓ ગાંધીજી સાથે હતા એ લોકો તેમના મૃતદેહને બહાર લઈ આવે એ યોગ્ય ગણાશે.
મૃત્યુ બાદ તપાસ કાર્યવાહી થઈ એમાં તમારી કોઈ તપાસ થયેલી?
ના, એવી કોઈ તપાસ થઈ ન હતી. રઘુ માળીએ એ બધી વિગતો આપી દીધેલી અને નથુરામ પકડાઈ ગયો હતો એટલે હત્યારો શોધવાનો કોઈ પ્રશ્ન ન હતો.
એ પછી તમે એક વર્ષ ત્યાં શું કર્યું?
ગાંધીજી પહેલાં રહેતા એ કોલોનીમાં રહી રચનાત્મક કાર્યો કર્યાં અને ૧૯૪૯માં હું વેડછી આવતો રહ્યો.
અહીં આવ્યા પછી?
જુગતરામ દવેની સૂચના પ્રમાણે અહીં અમારે આદિવાસી વિસ્તારમાં લોક-જાગૃતિનાં કામો કરવાનાં હતાં. અમે બધાં તેમના માર્ગદર્શન નીચે એ કામમાં લાગી ગયા. મારે ખાસ તો વલસાડ જિલ્લામાં કામ કરવાનું હતું. ત્યાં અમે આદિવાસી વિસ્તારોમાં આશ્રમશાળાઓ ખોલી જે આજે પણ ચાલે છે.
***
૧૯૭૪ સુધી પ્રભુરામ બાપાએ વિવિધ જંગલ વિસ્તારોમાં ઘૂમી આદિવાસી ઉત્થાનનાં કાર્યો કર્યાં. એક ટ્રસ્ટ પણ સ્થાપ્યું. ૧૯૭૪થી તેઓ નિવૃત્ત છે. મૂળ તેઓ છાપરા ગામના છે અને એ વખતની ચાર અંગ્રેજી ચોપડી ભણેલા છે. હવે રોજ સવારે ઊઠી છાપાં-સામયિકો વાંચવાનું કામ કરે છે. સાંજે એકાદ કલાક ટીવી જુએ. સાતેક વર્ષ પહેલાં પ્રોસ્ટેટનું ઓપરેશન કરાવવું પડેલું. એ સિવાય કોઈ બીમારી નથી. અઠવાડિયામાં એકાદ દિવસ ખેતરની મુલાકાત લે છે. ચાલવા માટે આમ તો લાકડીની એમને જરૂર નથી પણ સલામતી માટે લાકડી રાખે છે. પણ એક સમયે તેઓ ગાંધીજીની ‘લાકડી’ હતા, એ ભુલવા જેવું નથી..
ગુજરાતમાં નક્સલવાદ નથીઃ થેન્ક્સ ટુ પ્રભુરામ બાપા અને તેના જેવા સેવકો!
પ્રભુરામ બાપાના દીકરા અશોકભાઈ કહે છે, ‘ગુજરાતમાં નકસલવાદ નથી તેનો શ્રેય બાપુજી જેવા કાર્યકરોને જાય છે. જ્યાં નકસલવાદ વિકસ્યો છે, ત્યાં આદિવાસીઓની જમીન છીનવાઈ રહી હોવાનો મુદ્દો મુખ્ય છે. ગુજરાતમાં તો આઝાદી કાળથી જ બાપુજી અને તેમના જેવા કાર્યકરોએ આદિવાસી વિસ્તારોમાં ફરી આદિવાસીઓમાં જાગૃતિ આણવાનો પ્રયાસ કર્યો છે. પરિણામે આદિવાસીઓ એ વખતથી જ થોડા ઘણાં શિક્ષિત થયા, પોતાના અધિકારો જાણતા થયા. પરિણામ એ આવ્યું કે એ આદિવાસીઓ પોતાના હક્કો માટે હથિયારો ઉપાડતા થાય (જે બાદમાં નક્સલવાદમાં પરિણમે) એ સ્થિતિ જ ન આવી.
દુનિયાનો સૌથી પહેલો પાસવર્ડ કેવી રીતે બન્યો જાણો છો?

ઇમેઇલ બનાવવું હોય તો પાસવર્ડ, ટ્વીટ કરવું હોય તો પાસવર્ડ, ઓનલાઇન શોપિંગ કરવું હોય તો પાસવર્ડ! આખરે આ પાસવર્ડની સિસ્ટમ બનાવી કોણે? જ્યાં જૂઓ ત્યાં પાસવર્ડ એન્ટર કરવો પડે છે અને જો ભૂલી ગયા તો મુસિબત આવી પડે છે. અમારી જેમ તમને પણ ઘણીવાર એમ થતું હશે કે આ પાસવર્ડ કોણે બનાવ્યો. તો ચાલો શોધીએ કે પાસવર્ડનો આવિષ્કાર કોણે કર્યો? જેવી રીતે હાઇટેક ઓટોમોબાઇલની દુનિયામાં વ્હિલના આવિષ્કારની વાર્તા ક્યાંક ખોવાઇ ગઇ છે, તેવી જ રીતે કોમ્પ્યુટરમાં પાસવર્ડની વાર્તા પણ ઇતિહાસમાં ક્યાંક ખોવાઇ ગઇ છે.
ટાઇમ શેરિંગ સિસ્ટમ દ્વારા આવ્યો પાસવર્ડ
કોમ્યૂટરનો પહેલો પાસવર્ડ બનાવવાની સંભાવના માસાચ્યુસેટ્સ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ટેક્નોલોજીમાં 1960ના મધ્યમાં હોય તેવું જણાય છે. જ્યારે યુનિવર્સિટીના સંશોધનકર્તાએ એક મોટું ટાઇમ શેરિંગ કોમ્પ્યુટર સીટીએસએસ બનાવ્યું હતું. આ અંગે મોટાભાગના કોમ્પ્યુટર નિષ્ણાતોનું કહેવું છે કે પહેલો પાસવર્ડ એમઆઇટીના ટાઇમ શેરિંગ સિસ્ટમ દ્વારા આવ્યો હતો. સીટીએસએસે કોમ્પ્યુટરના ઉપયોગ સાથે જોડાયેલી એવી ઘણી વસ્તુઓ બનાવી છે જેનો ઉપયોગ આપણે આજે પણ કરીએ છીએ. આમાં ઇમેઇલ, મેસેજિંગ, ફાઇલ શેર વગેરેનો સમાવેશ થાય છે.
સીધા અને સરળ ઉપાય તરીકે તે સામે આવ્યું
ઇરનેન્ડો કોબેટો જેમણે આ સીટીએસએસનો પ્રોજેક્ટ બનાયો તેમણે આ બાબતનો શ્રેય લેવા અંગે ખાસ રૂચી દાખવી નહોતી. કોરબેટોના કહેવા અનુસાર કેટલાક ટર્મીનલોનો ઉપયોગ ઘણા લોકોને કરવાનો હતો. આ ટર્મીનલમાં દરેકને પોતાના પસર્નલ ડેટા અને ફાઇલ્સ રાખવી હતી. આથી દરેક વ્યક્તિ પાસે એક પાસવર્ડ હોય તો આ સમસ્યા દૂર થાય. કોરનેલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સ પ્રોફેસર ફ્રેડ સ્કેનીડરના જણાવ્યા અનુસાર 60ના દસકા પહેલા પણ યૂઝરની ખાનગી માહિતી સાથે જોડાયેલા થોડા વિકલ્પો હતા.
પાસવર્ડનો કન્સેપ્ટ આજે પણ તેવો જ છે
તેમાં કોમ્પ્યુટર પાસવર્ડને બદલે વ્યક્તિને કેટલાક એવા પ્રશ્નો પૂછે છે, જેનો જવાબ બીજા કોઇને પાસે ન હોય, જેમકે તમારી નાનીનું નામ. જાનકારી આધારિત સિસ્ટમમાં વ્યક્તિને પોતાની કેટલીક જાણકારી સિસ્ટમમાં સ્ટોર કરવી પડતી હતી. મોટાભાગના લોકોને આ રીત ઘણી કંટાળાજનક લાગતા હતો. આથી કોમ્પ્યુટર સિક્યોરિટી માટે પાસવર્ડની રીત અપનાવવામાં આવી હતી. ત્યારથી અત્યાર સુધીમાં ટેકનીકમાં ઘણો ફેરફાર આવ્યો છે, છતાંય પાસવર્ડનો કન્સેપ્ટ આજે પણ તેવો જ છે.

એટલે લીંબુ, પરંતુ અંગ્રેજીમાં ચુના માટે પણ વપરાતો શબ્દ લાઈમ છે. ગઈ સદીના જાણીતા સ્કોટિશ એન્જિનિઅર થોમસ ડ્રમોન્ડે ચૂનો (કેલ્શિયમ ઓકસાઈડ) બાણીને જવંલત પ્રકાશ ઉત્પન્ન કરવાનો નુસખો શોધી કાઢયો હતો, જે પછી લાઈમનો (ચૂનાનો) ઉપયોગ દીવાદાંડીમાં કરાતો હતો. ઈ.સ. ૧૮૪૦ માં ડ્રમોન્ડનું અવસાન થયા બાદ ધણાં વષેઁ અંગ્રેજો નાટ્યગૃહમાં સ્ટેજ પર રોશની માટે ચુનો વાપરવા લાગ્યા. રીહસઁલ વખતે સંવાદ બોલતા અભિનેતાને નાટકનો દિગ્દશઁક ધણી વાર Please stay in the limelight એવી સુચના આપે, માટે સમય જતાં એ શબ્દ અંગ્રેજી ભાષામાં કાયમી બન્યો.
No comments:
Post a Comment